✪ અનુગાંધી યુગને ઘડનારા પરિબળો
✪ અનુગાંધી યુગને ઘડનારા પરિબળોનો વિગતે પરિચય કરાવો


પ્રસ્તાવના :

       ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં સુધારકયુગ અને પંડિતયુગથી આપણે પરિચિત છીએ. ગાંધીયુગની ઉત્તર મર્યાદા સામાન્ય રીતે ગાંધીજીના મૃત્યુ સુધી એટલે કે ૧૯૪૮ સુધી મૂકવામાં આવે છે. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થાય છે તેથી તે પછીના સાહિત્યને ઘણા વિવેચકો ‘સ્વાતંત્ર્યોત્તર યુગ’ (અનુગાંધી યુગ)નાં સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે.

       સાહિત્યિક રીતે વિચારીએ તો ૧૯૪૭ થી કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, નાટક કે કોઈ પણ સાહિત્ય પ્રકારમાં વ્યાવાર્તક પરિવર્તન આવતું નથી. આ સંદર્ભમાં વિચારીએ તો ગાંધીયુગીન સાહિત્યધારાથી જુદી પડતી ધારા ૧૯૪૦માં જોવા મળે છે. ૧૯૪૦માં પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ ‘બારી બહાર’ પ્રગટ થયો અને એક નવી કાવ્યધારા અસ્તિત્વમાં આવે છે. શ્રી ઉશનસ એમના એક ગ્રંથમાં નોંધે છે ‘બારી બહારથી ગાંધીયુગોત્તર ગુજરાતી કવિતાનું મંગલાચરણ થયું કહેવાય.’ આ લેખમાં ઉશનસ ગાંધીયુગોત્તર કવિતાને ‘રાજેન્દ્ર-નિરંજનયુગ’ એવું નામ આપવા કહે છે. આમ ગુજરાતી કવિતા પાછી રાજેન્દ્ર નિરંજનના ખભે ચઢીને ચાલે છે. એમ કહેવું હોય તો આ રાજેન્દ્ર-નિરંજનયુગ છે.

       આમ, ગાંધીયુગ પછીના યુગને રાજેન્દ્ર-નિરંજન નામ અપાઈ ગયું. પહેલા ‘અનુગાંધીયુગ’ એવો પ્રયોગ કરવામાં આવ્યો. આ ગાળાના મુખ્ય કવિઓ રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત હોવાથી યુગ નિર્માણમાં તેમનો મોટો ફાળો હોવાથી હવે રાજેન્દ્ર-નિરંજનયુગ સંજ્ઞા પ્રચલિત બની. શ્રી સુરેશ દલાલ કહે છે કે ‘રાજેન્દ્ર-નિરંજનની યુગની કવિતાનું પ્રેરકબળ ગાંધીજી નહિ પણ ટાગોર, શ્રીધરાણી, પ્રહલાદ, હરિશ્ચન્દ્ર છે.

       આમ, અનુગાંધીયુગને ‘સ્વાતંત્ર્યોત્તર યુગ’ અને ‘રાજેન્દ્ર-નિરંજનયુગ’ એની સંજ્ઞાઓ પ્રાપ્ત થઈ અને અભ્યાસીઓ દ્વારા એ સંજ્ઞાઓ પ્રયોગ થાય છે અને દિવસે-દિવસે એ યુગ આપણા સાહિત્યના ઇતિહાસમાં સ્વીકૃતી પ્રાપ્ત કરતો જાય છે. હવે આ યુગની કવિતાના પરિબળોની ચર્ચા કરીએ.




અનુગાંધીયુગને ઘડનારા પરિબળો


૧. કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્ય ચેતના

૨. તત્કાલીન દેશ તથા દુનિયાની પરિસ્થિતી

૩. બંગાળી તથા પાશ્ચાત્ય કવિતાની અસર

૪. અગ્રણી કવિ નિરંજનના રૂપમાં કાવ્ય ગુરુ મળ્યા

૫. ગદ્યક્ષેત્રે થયેલું ખેડાણ

૬. મોટા ગજાના પ્રમુખ કવિઓએ કરેલું ગદ્યક્ષેત્રે નહિવત કાર્ય




 અનુગાંધીયુગને ઘડનારા પરિબળો


૧. કવિતામાં પ્રસ્થાપિત થયેલી સોંદર્ય ચેતના :

       રાજેન્દ્ર-નિરંજનયુગની કવિતાનું આરંભ બિંદુ “બારી બહાર” માં મળે છે એ સંગ્રહમાં એવું શું છે? જેને લીધે તે ગાંધીયુગની કવિતાથી અલગ પડે છે. એટલે કે એ કવિતાના લક્ષણો કયા છે? મુખ્ય લક્ષણ છે બહિર્મુખી રાષ્ટ્રીય ચેતના કે સમાજ ચેતનાને સામે કવિતામાં પ્રસ્થાપિત થયેલી સોંદર્ય ચેતના છે. આ કવિતા વધુને વધુ સૌંદર્યભિમુખ બની રહી છે.

       સૌંદર્યભિમુખતાને લીધે આ યુગની કવિતામાં રંગ રાગીતાના અંશો વધે છે. એટલે કે આ યુગની કવિતા કેટલેક અંશે કૌતુકરાગી બને છે. પ્રહલાદ પારેખ ઉપરાંત રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર વગેરેની કવિતામાં આ લક્ષણો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઉશનસ, જયંત પાઠક, પિનાકિન ઠાકોર, ગીતા પારેખ, સુરેશ દલાલ અને હરિન્દ્ર દવે વગેરે કવિઓ પણ આ લક્ષણનાં પુરસ્કર્તા બને છે.

૨. તત્કાલીન દેશ તથા દુનિયાની પરિસ્થિતી :

       અનુગાંધીયુગની સમાજભિમુખતા ગાંધીજીની સમાજભિમુખતા કરતાં જુદી છે. દેશ તથા દુનિયાની દશા ઈ.સ.૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થાય છે. ૧૯૪૨માં હિન્દછોડો લડત આરંભાય છે. બંગાળમાં દુષ્કાળ પડે છે. આખો દેશ અનાજ અને જીવન જરૂરિયાતની તંગી અનુભવે છે. કાળા બજાર તથા બીજી અનૈતિક પ્રવૃત્તિઓ વધી જાય છે. જાપાનમાં હિરોશીમા તથા નાગાશાકી પર અણું બોમ્બ નાખવામાં આવે છે. ૧૯૪૭માં દેશ આઝાદ થતા જ દેશના ભાગલા પડે છે. કોમી રમખાણો ફાટી નીકળે છે, અને એ રીતે ગુજરાતી કવિતામાં નાવલ્ય યથાર્થવાદ અસ્તિત્વમાં આવે છે.

૩. બંગાળી તથા પાશ્ચાત્ય કવિતાની અસર :

       અનુગાંધીયુગની કવિતા પર બંગાળી કવિતા તથા પશ્ચિમી કવિતાનો પ્રભાવ પડે છે. પ્રહલાદ, રાજેન્દ્ર, નિરંજન, બંગાળી ભાષાના સારા જાણકાર તથા રવીન્દ્રનાથની કવિતાથી પ્રભાવિત કવિઓ છે. આ ત્રણેય કવિઓની કવિતાઓ પર રવીન્દ્રનાથની કવિતાનો પ્રભાવ ઓછા પ્રમાણમાં પડેલો જોઈ શકાય છે.

       બીજી બાજુ હરિશ્ચન્દ્ર, નિરંજનભગત, નલિન અને હસમુખ વગેરે કવિઓ પાશ્ચાત્ય કવિતા ઊંડા અભ્યાસીઓ છે. નલીન તથા હસમુખ પશ્ચિમી કવિતાનો સઘન અભ્યાસ કરે છે. પ્રિયકાંત પારેખ, નિરંજન ભગતની સહાયથી પશ્ચિમી કવિતાના સંપર્કમાં આવે છે. આ બધા જ કવિઓ અન્ય ભાષામાંથી કાવ્ય અનુવાદો કરે છે. આ રીતે બંગાળી તથા પશ્ચિમી કવિતાની અસર આ યુગની કવિતાના આંતરિક તેમજ બાહ્ય કલેવર પર પડે છે.

૪. અગ્રણી કવિ નિરંજનના રૂપમાં કાવ્ય ગુરુ મળ્યા :

       અનુગાંધીયુગની કવિતાને તેના અગ્રણી કવિ નિરંજનના રૂપમાં કાવ્ય ગુરુ મળે છે. તેમણે અનુંગાંધીયુગે કવિતાના ઘડતરમાં એને પ્રસ્થાપિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજેન્દ્ર-નિરંજન પછીના મોટા ગજાના કવિ પ્રિયકાંત મણિયારના ઘડતરમાં નિરંજન મહત્વનું યોગદાન રહ્યું છે. એટલે અનુગાંધીયુગના ઘડતરમાં કવિ નિરંજન ભગતનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે.

૫. ગદ્યક્ષેત્રે થયેલું ખેડાણ :

       અનુગાંધીયુગમાં કવિતા ઉપરાંત ગદ્યક્ષેત્રે પણ ગણના પાત્ર કામ થયું છે. આ યુગમાં જ આપણને પન્નાલાલ પટેલ, દર્શક જેવા સમર્થ નવલકથાકારો મળ્યાં. પન્નાલાલ જાનપદી નવલકથાના ક્ષેત્રે અસાધારણ યોગદાન કર્યું છે, તો દર્શકે એતિહાસિક અને સાહિત્ય નવલકથા ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું છે.

       જયંત દલાલ અને ચુનીલાલ મંડિયા ટૂંકીવાર્તા પ્રયાસ કરે છે. આ રીતે ગદ્યક્ષેત્રે પણ અનુગાંધીયુગમાં સર્જાયેલા સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ ઓછો રહ્યો હોય અને અનુગાંધીયુગનો પ્રભાવ પડ્યો હોય એવું પણ લાગશે.

૬. મોટા ગજાના પ્રમુખ કવિઓએ કરેલું ગદ્યક્ષેત્રે નહિવત કાર્ય :

       અનુગાંધીયુગના મોટા ગજાના મહત્વના કવિઓએ ગદ્યક્ષેત્રે બહુ ઓછું કામ કર્યું છે. નિરંજન ગદ્યમાં મુખ્યત્વે વિવેચન કાર્ય રજુ કર્યું છે. પરંતુ એમણે બહુ મોટું ખેડાણ ગદ્યક્ષેત્રે કર્યું નથી. એ જ રીતે આ યુગના મોટા ગજાના પદ્યકારોએ પદ્યમાં પ્રદાન કર્યું નથી. એને લીધે અનુગાંધી યુગનું સાહિત્ય ગદ્ય અને પદ્યના બે વિભાગોમાં વહેંચાઇ જાય છે.

       અનુગાંધીયુગને ઘડવામાં ઉપરોક્ત પરિબળો એ સવિશેષ ભાગ ભજવ્યો છે. ગાંધીયુગ કરતા અલગ પાડે છે. અનુગાંધીયુગનાં પ્રહલાદ પારેખ અને હરીશચન્દ્ર ભટ્ટ આરંભક કવિઓ છે. આ કવિઓ અનુગાંધીયુગ કરતાં જુદો પડ્યો તેથી તેઓ પર ગાંધીજીના અનેક લક્ષણો જોવા મળ્યા છે.